અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સ્નાન-દાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ સાથે જ અમાવસ્યા પર પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ પણ કરવામાં આવે છે. આ વખતે વૈશાખ અમાવસ્યાની શરૂઆત 7 મેના રોજ સવારે 11 વાગીને 40 મિનિટથી થઇ રહી છે અને 8 મેના રોજ સવારે 8 વાગીને 51 મિનિટે તેનું સમાપન થશે. તેથી વૈશાખ અમાવસ્યા 8 મેના રોજ ઉજવવામાં આવશે.
અમાવસ્યા તિથિના દિવસે પિતૃઓને ખુશ કરવા માટે કેટલાંક ઉપાય કરવા શુભ રહે છે. તેનાથી પિતૃ ખુશ થઇને પોતાના આશીર્વાદ આપે છે. અમાવસ્યાના દિવસે શું કરવું જોઇએ. ચાલો વિગતે તેના વિશે જાણીએ.
વૈશાખ અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. પિતૃઓને ખુશ કરવા માટે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ તર્પણ કરવું જોઇએ. કહેવામાં આવે છે કે પિતૃલોકમાં જતી વખતે પાણીની કમી થઇ જાય છે અને તેવામાં પિતૃઓનું તર્પણ કરવાથી તેમને તૃપ્તિ મળે છે. તેવામાં આ દિવસે જળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઇ જરૂરિયાતમંદને જળનુ દાન કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પિતૃ દેવની પૂજા
અમાવસ્યાના દિવસે પિતૃઓના દેવ અર્યમાની પૂજા કરવી જોઇએ. કહેવામાં આવે છે કે તેમની પૂજાથી ખુશ થઇને તે પિતૃઓને મુક્તિ આપી દે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પશુઓની સેવા અને ભોજન
અમાવસ્યાના દિવસે કાગડો, શ્વાન, ગાય વગેરે જેવા પશુઓને ભોજન કરાવવું જોઇએ. ભોજનની સાથે-સાથે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઇએ. કહેવામાં આવે છે કે પિતૃ તેમના માધ્યમથી જ અન્ન અને જળ ગ્રહણ કરે છે.
દાન
વૈશાખ અમાવસ્યાના દિવસે ખાસ કરીને પિતૃઓના નામે દાન કરવું પણ શુભ રહે છે. આ દિવસે જરૂરિયાતમંદને અન્ન, મીઠુ, ગોળ, છત્રી, સફેદ કપડાં વગેરે દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.