ધાર્મિક ઉત્સવો, વિવાહ વગેરે સમયે પંડિત માંગલિક કાર્ય આરંભ કરતા પહેલા લાલ અથવા લાલ-પીળા દોરાને કાંડા પર બાંધે છે. તેને કલાવા કે રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. હિન્દુધર્મમાં કલાવાને એવું રક્ષાસૂત્ર માનવામાં આવે છે જે દરેક સમસ્યાથી રક્ષા કરે છે. રક્ષાસૂત્ર તમામ નકારાત્મક શક્તિઓને પોતાનામાં સમાવીને તેને ધારણ કરનારને ખુશહાલ રાખે છે.
ઘણીવાર લોકો પોતાના કાંડા પર રક્ષાસૂત્ર બંધાવી તો લે છે પરંતુ તેને ક્યારે ઉતારવું જોઇએ? કે રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ તેનું શું કરવું જોઇએ? જેવી વાતો વિશે જાણતા નથી.
લાલ રંગનું જ કેમ હોય છે રક્ષાસૂત્ર
રક્ષાસૂત્રનો રંગ લાલ એટલા માટે હોય છે કારણ કે લાલ રંગને હિન્દુ ધર્મમાં શક્તિ, ઉત્સાહ, સૌભાગ્ય, પ્રેમ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી લાલ દોરાનો વિવાહ, ગૃહ પ્રવેશ, ધાર્મિક અનુષ્ઠાનો જેમ કે નવરાત્રી, દીવાળી, કરવા ચૌથ વગેરે અવસર પર પ્રયોગ કરવામાં આવે છે. તેની સાથે જ જ્યોતિષ અનુસાર, શરીરમાં કાંડાને મંગળનું સ્થાન માનવામાં આવે છે. મંગળના સ્વામી છે હનુમાનજી અને હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે કાંડા પર લાલ રંગનું રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. તેવામાં ઘણા અવસરે લાલની સાથે પીળું રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે કારણ કે પીળો રંગ પ્રકૃતિ, સૂર્ય, જ્ઞાન અને સજીવતાનું પ્રતીક માનવામાં આવે છે. વ્રતનો સંકલ્પ લેતા પહેલા પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. તે વાતનું ધ્યાન રાખો કે એવું રક્ષાસૂત્ર કે જેનો રંગ ઉતરી ચૂક્યો હોય કે પછી જે રક્ષાસૂત્રના દોરા નીકળી ગયાં હોય તેને ઉતારી દો. રક્ષાસૂત્રમાં મારવામાં આવતી ગાંઠ માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા પાર્વતીનું સ્થાન માનવામાં આવે છે.
રક્ષાસૂત્ર આ રીતે પહેરવું જોઈએ
– રક્ષાસૂત્ર હંમેશા પંડિત અથવા વડીલ પાસે બંધાવો. રક્ષાસૂત્રબાંધતી વખતે એક હાથ માથા પર રાખવો જોઈએ.
– આ સાથે જે હાથમાં રક્ષાસૂત્ર બાંધવાનું છે તેની મુઠ્ઠીમાં દક્ષિણા સ્વરૂપે કેટલાક પૈસા રાખવા જોઈએ.
– રક્ષાસૂત્રને હાથની આસપાસ 3, 5 કે 7 વાર વીંટાળવું જોઈએ.
રક્ષાસૂત્ર કેવી રીતે ઉતારવું જોઇએ
જો કે, રક્ષાસૂત્ર ઉતારવા માટે વિવિધ પરંપરાઓ અને પ્રદેશોમાં વિવિધ પરંપરાઓ અને રીતિ-રિવાજોનું પાલન કરવામાં આવે છે. રક્ષાસૂત્ર ધારણ કરવાથી લઈને ઉતારવા સંબંધિત ઘણા નિયમો પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. પરંતુ જે સામાન્ય રીતે કોમન છે તે એ છે કે રક્ષાસૂત્રનો રંગ ઝાંખો પડે તે પહેલા તેને ઉતારી દેવું જોઈએ. મંગળવાર કે શનિવારે રક્ષાસૂત્ર ઉતારવું જોઈએ. રક્ષાસૂત્રને ઉતારવા માટે તમે આ કરી શકો છો.
1. રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ તેને ઝાડ નીચે બાંધી દેવાની સાથે કેટલાક ફૂલો મૂકવામાં આવે છે. રક્ષાસૂત્રને ઝાડ નીચે બાંધવાનો હેતુ પરિવારના સભ્યો માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરવાનો છે.
2. રક્ષાસૂત્ર ને અહીં-ત્યાં ફેંકવાને બદલે નદીમાં પ્રવાહિત કરવું વધુ સારું છે. નદીને પવિત્ર માનવામાં આવે છે.
3. જો નજીકમાં કોઈ નદી ન હોય તો તમે તેને ધૂપ અને ઘીથી આગમાં બાળી શકો છો. રક્ષાસૂત્રને અગ્નિમાં બાળવા પાછળની માન્યતા એવી છે કે રક્ષાસૂત્રને ઉતાર્યા પછી પણ વ્યક્તિ પોતાના જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે જરૂરી શક્તિ મેળવી શકે છે.
4. જો તમે આર્થિક રીતે સક્ષમ છો તો રક્ષાસૂત્ર ઉતારવાની સાથે ધાન્ય, ફળ, પૈસા કે કપડા વગેરેનું દાન કરો. આમ કરવાથી પુણ્ય ફળમાં વૃદ્ધિ થાય છે.