ધાર્મિક ગ્રંથો અનુસાર, ગંગા સપ્તમીનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન બ્રહ્માના કમંડળમાંથી ગંગા નીકળી અને દેવતાઓની દુનિયામાં વહેવા લાગી.
આ વખતે ગંગા સપ્તમીનો તહેવાર 14 મે, મંગળવારે છે. આ દિવસે અનેક શુભયોગો પણ રચાઈ રહ્યા છે, જેના કારણે આ તહેવારનું મહત્ત્વ વધી ગયું છે.
ગંગામાં સ્નાનનું વિશેષ મહત્ત્વ
ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ દિવસે ગંગા નદીના કિનારે ભક્તોની ભીડ જામે છે. આ ઉપરાંત ગંગા નદીના કિનારે વિશેષ કાર્યક્રમો વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ, મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે અને મોટા પાયે ગંગા આરતી કરવામાં આવે છે.
ઘરે ગંગા સ્નાનનો લાભ કેવી રીતે મેળવવો?
જે લોકો ગંગામાં સ્નાન કરવા નથી જઈ શકતા તેઓ ઘરે જ કોઈ સરળ મંત્રનો જાપ કરીને ગંગા સ્નાન કરે તો તેનું ફળ મળી શકે છે. આ માટે સવારે વહેલા ઊઠીને માતા ગંગાનું ભક્તિભાવથી સ્મરણ કરો અને સ્નાન કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરો –
गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु।।
ઉપરોક્ત મંત્રનો જાપ કરીને ગંગા સપ્તમી પર સ્નાન કરવાથી માત્ર ગંગા સ્નાનનું ફળ જ નથી મળતું, પરંતુ સકારાત્મક ઉર્જાનો અનુભવ પણ થાય છે. તમે દરરોજ સ્નાન કરતી વખતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો. તેનાથી તમારા જીવનમાં તેની સકારાત્મક અસર દેખાશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. જો શક્ય હોય તો, આ દિવસે તમારી ઇચ્છા મુજબ જરૂરિયાતમંદોને દાન કરો.