પાણી શરીરની ચરબી ઓગળવામાં મદદ કરે છે પરંતુ કેટલું પાણી પીવું જોઈએ તે ઘણી બાબતો પર નિર્ભર કરે છે. દરેક વ્યક્તિને અલગ-અલગ માત્રામાં પાણીની જરૂર હોય છે. શરીરની અંદર દરેક પ્રકારના કામ માટે પાણી જરૂરી છે. આપણા શરીરનો 50 થી 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. દરેક કોષને પાણીની જરૂર હોય છે.
પાણી શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને શરીરના ટેમ્પરેચરને બેલેન્સ કરે છે. શરીરના જેટલા પણ સાંધા છે ત્યાં પણ પાણી કુશન અથવા લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. તે ફેટને પણ નબળુ બનાવીને તેને ઓગાળે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માટે વધુ પાણી પી શકાય છે.
વધુ પાણી પીવાથી ઘટી શકે છે મેદસ્વીતા: આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર આપણે કશું કરી શકતા નથી. એ વાત સાચી છે કે માત્ર પાણીની હાજરીમાં જ શરીરની ચરબી ઓગળવા લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આખા દિવસ દરમિયાન માત્ર પાણી જ પીવું જોઈએ.
કેટલાક લોકો વજન ઘટાડવા માટે ફાસ્ટ રાખે છે અને આ દરમિયાન વધારે પડતું પાણી પીવે છે. આ રીત યોગ્ય નથી. જો તમે જરૂર કરતાં વધુ પાણી પીશો તો તમારી કિડની આટલું પાણી બહાર કાઢવામાં ફેલ થવા લાગશે.
બીજી તરફ, આ વધારાના પાણીને કારણે શરીરમાં સોડિયમ પાતળું થવા લાગે છે. તેનાથી શરીરમાં પ્રવાહી પદાર્થોનું બેલેન્સ બગડી જશે. તેનાથી હાયપોનેટ્રેમિયા બીમારી થઇ શકે છે. આ કારણે અચાનક મૃત્યુનું જોખમ વધી જશે. તેથી, તમારે કેટલા પાણીની જરૂર છે તે સમજવું મહત્વપૂર્ણ છે.
કેટલું પાણી પીવું જોઈએ: વ્યક્તિને દરરોજ કેટલું પાણી જોઈએ છે તે તેના પર નિર્ભર કરે છે કે તે કેવા પ્રકારનું કામ કરે છે, તેનું વજન કેટલું છે, તે પુરુષ છે કે મહિલા અને તેની ઉંમર શું છે. જે લોકો વધુ એક્સરસાઇઝ કરે છે, જેઓ એથલીટ છે, જેઓ ગરમ પ્રદેશોમાં રહે છે, દેખીતી રીતે વધુ પાણીની જરૂર છે. જો તમે પ્રેગનેન્ટ હોવ તો પણ તમારે વધુ પાણીની જરૂર પડશે. તે જ સમયે, જે લોકો બીમાર છે અને ઠંડા પ્રદેશોમાં રહે છે તેમને ઓછા પાણીની જરૂર પડશે.
અમેરિકન નેશનલ એકેડમી ઑફ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ મેડિસિન અનુસાર, પુરુષોએ દિવસમાં 15 કપ અથવા સાડા ત્રણ લિટર ફ્લૂડ લેવું જોઈએ. એટલે કે, તેમાં પાણી અને અન્ય વસ્તુઓથી પ્રાપ્ત લિક્વિડ જેમ કે જ્યૂસ અથવા શાકભાજીમાંથી પ્રાપ્ત પાણીનો પણ સમાવેશ થાય છે.
જ્યારે મહિલાઓને દરરોજ 2.7 લિટર ફ્લૂડની જરૂર પડે છે. પરંતુ આ કોઈ ચોક્કસ નિયમ નથી. માનવની પરિસ્થિતિ પાણીની જરૂરિયાત નક્કી કરે છે. સામાન્ય રીતે જ્યારે હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાણીની કમી હોય છે ત્યારે તેને તરસ લાગે છે અને તે પાણી પીવે છે. તેથી શરીર પોતે જ જાણે છે કે તેણે ક્યારે પાણી પીવું જોઈએ.