દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એંજિનિયરના રુપમાં પુજાય છે. હિન્દુ ધર્મ મુજબ વિશ્વનું નિર્માણ કાર્ય ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. દ્વારકાધીશની દ્વારકા, ઇન્દ્રનો સ્વર્ગલોક સહિત વિશેષ રચનાઓ ભગવાન વિશ્વકર્માએ જ કરી છે. કહેવાય છે કે, ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ અને કૃષ્ણને સુદર્શન ચક્ર બનાવી આપ્યા હતા.
વિશ્વની રચના કરનાર ભગવાન વિશ્વકર્મા જ્યંતિ ક્યારે ઉજવાય છે અને એનું ધાર્મિક મહત્વ શું છે.
વિશ્વકર્મા જ્યંતિ 2024 22 ફેબ્રુઆરીએ
ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે ઓળખાતા વિશ્વકર્માના પ્રાગટ્ય અંગે કોઇ જાણી શક્યું નથી. પરંતુ પ્રતિ વર્ષ માગશર (માઘ) સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જ્યંતિ ઉજવાય છે. આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જ્યંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે.
ભગવાન વિશ્વકર્મા અવતાર
ભગવાન વિશ્વકર્માએ વિશ્વ કલ્યાણ માટે અનેક અવતાર ધારણ કરેલા હોવાનું માનવામાં આવે છે. નરનારાયણથી વિશ્વકર્માના દસ અવતાર થયા હોવાનું માનવામાં આવે છે. મહાભારત અનુસાર તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી જનમ્યા હતા જ્યારે પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હોવાનું માનવામાં આવે છે. દેવોને સંતુષ્ટ કરવા માટે પ્રગટ થયા હોવાથી ભગવાન વિશ્વકર્મા ત્વષ્ટા તરીકે પણ ઓળખાય છે.
વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પ શાસ્ત્રના કર્તા છે. સૃષ્ટિની રચના કરનાર ભગવાન વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. વિશ્વકર્મા સૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્માએ ગુરુના ભાણેજ છે. તેઓ આઠમા વસુપ્રભાસ ઋષિ અને દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિધ્ધિના પુત્ર છે.
વિશ્વકર્મા અસ્ત્ર શસ્ત્ર, શક્તિના રચનાકાર
કહેવાય છે કે, ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે.
વિશ્વકર્માને પાંચ પુત્રો
ભગવાન વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન દેવી છે જે પ્રહલાદના પુત્રી છે. વિશ્વકર્માને પાંચ પુત્ર રત્ન છે. મનુ – લુહાર, મય -સુથાર, ત્વષ્ટા – કંસારા, શિલ્પી – કડિયા અને દેવજ્ઞ – સોની એમ પાંચ પુત્ર છે. જ્યારે વાસ્તુ એમના માનસ પુત્ર તરીકે ઓળખાય છે. ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે.