દર વર્ષે 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે. માઘ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિ પણ ઘરમાં આવે છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ જયા એકાદશીની તિથિ 19મી ફેબ્રુઆરીના રોજ સવારે 8.49 કલાકે શરૂ થશે અને આ તિથિ 20મી ફેબ્રુઆરીના રોજ સવારે 9.55 કલાકે પૂર્ણ થશે.
ઉદય તિથિને ધ્યાનમાં રાખીને જયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.આ વ્રત 20મી ફેબ્રુઆરીના રોજ છે અને આ દિવસે પૂજા પણ કરવામાં આવશે.
એક સમયે સ્વર્ગમાં આવેલા નંદન વનમાં એક ઉત્સવનું આયોજન થતું હતું. આ ઉત્સવમાં સ્વર્ગના તમામ દેવતાઓ, ઋષિમુનિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ગાંધર્વ અને ગાંધર્વ કન્યાઓ દ્વારા નૃત્ય અને ગાયન કરવામાં આવી રહ્યું હતું. તે જ સમૂહમાં, એક નૃત્યાંગના પુષ્યવતીએ ગાંધર્વ માલ્યવાનને જોયો અને તે તેની યુવાનીથી મોહિત થઈ ગઈ અને મર્યાદા ત્યજીને નૃત્ય કરવા લાગી. આ કારણે માલ્યવાન બેસૂરા ગીતો ગાવા લાગ્યો.
આ ઘટનાને જોઈ અને સાંભળીને બધા ગુસ્સે થવા લાગ્યા. અને સ્વર્ગના રાજા ઈન્દ્રદેવે ગુસ્સે થઈને બંનેને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. આ સાથે જ બંનેને શ્રાપ આપવામાં આવ્યો કે બંનેને નીચ યોનિમાં જન્મ મળશે અને ત્યારથી બંને હિમાલયમાં પિશાચના રૂપમાં દુઃખી જીવન જીવવા લાગ્યા.
સદીઓ પછી, માઘ મહિનાની એકાદશી એટલે કે જયા એકાદશીના દિવસે માલ્યવાન અને પુષ્યવતીએ કંઈ ખાધું નહીં અને ફળ ખાઈને દિવસ પસાર કર્યો. આ પછી તેઓ આખી રાત જાગતા રહ્યા અને શ્રી હરિનું સ્મરણ કર્યું. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બંનેને ભૂત સ્વરૂપમાંથી મુક્ત કર્યા. ત્યારથી, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે જયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.