વારાણસી, ઉત્તરપ્રદેશ: સનાતન ધર્મમાં પૂજા-પાઠને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પોતાના ઈષ્ટદેવને યાદ કરવા તેમજ તેમની કૃપા મેળવવા માટે લોકો પૂજા-પાઠનો સહારો લે છે. મંદિરો અને ઘરોમાં થતી પૂજા દરમિયાન તેમજ ભગવાનને ભોગ ચઢાવતી વખતે ઘંટડી અને ઘંટ વગાડવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટડી કે ઘંટ કેમ વગાડવામાં આવતા હોય છે.
સનાતન ધર્મમાં આ ઘંટડી અને ઘંટ વગાડવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પણ ઘંટડી અને ઘંટ વગાડવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ ફાયદા વિશે કાશીના વિદ્વાન અને જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે માહિતી આપી છે.
ઘંટડી વગાડવાના ફાયદા
કાશીના વિદ્વાન અને જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઘંટડી વગાડતાં પહેલાં દેવી-દેવતાઓને યાદ કરવામાં આવે છે અને દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ ઘંટડી વગાડવામાં આવે છે. સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકોમાં ઘંટડી વગાડવાના ફાયદા વિશે સવિસ્તાર જણાવવામાં આવ્યું છે. ઘંટડી વગાડવાથી આપણી આસપાસની દુષ્ટ શક્તિઓ પણ નાશ પામે છે અને સકારાત્મક ઊર્જાનું પણ વહન થાય છે. આ કારણોથી મંદિરોમાં અને ઘરોમાં પૂજા દરમિયાન અને પછી ઘંટડી વગાડવામાં આવે છે.
ઘંટ વગાડવાના ફાયદા
મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનો પણ ખૂબ જ મહિમા છે. ઘંટ વગાડવાથી જે ધ્વનિ નીકળે છે, તે તમારા શરીરના 7 ચક્રોને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે, જે સકારાત્મક ઊર્જાનું સંચાર કરે છે. મંદિર પ્રવેશતી વખતે ઘંટ વગાડવાથી તમારો સંદેશો તેમજ મહેચ્છા સીધી ઈશ્વરને પહોંચે છે અને તમારી મહેચ્છાઓ પૂર્ણ થાય છે. ઘંટ વગાડવાથી તન તેમજ મન પવિત્ર થઈ જાય છે,
સનાતન ધર્મમાં ઘંટ અને ઘંટડીનું અનન્ય મહત્વ
આ કારણોસર મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ અને પૂજા સમયે ઘંટડી વગાડવાની પરંપરા છે. ઈશ્વરની સામે પોતાની મનોકામના અને હાજરી રજૂ કરવા માટે હિંદુ ધર્મમાં ઘંટ અથવા ઘંટડી વગાડવામાં આવે છે. આથી ઘંટ અને ઘંટડીનું હિંદુ ધર્મમાં અનન્ય મહત્વ ગણવામાં આવ્યું છે.