અયોધ્યા, ઉત્તરપ્રદેશ: 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત થવા જઈ રહ્યો છે. અયોધ્યામાં લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં પધારશે. હજારો રામભક્તોના સંઘર્ષ અને બલિદાનો બાદ ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંભવ બની છે. આ મંદિર હાલ સમગ્ર ભારતના રહેવાસીઓને એક તાંતણે જોડી રહ્યું છે.
રામજન્મભૂમિ સંકુલ લગભગ 70 એકર જેટલું છે. રામ મંદિર અઢી એકરમાં બનાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2025 સુધીમાં રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થઈ જશે. દરેક રામ ભક્તને રામ મંદિર સાથે જોડાયેલી વાત જાણવાની ઉત્સુકતા હોય છે, ચાલો આજે રામ મંદિર વિશે આપણે એક રોચક વાત જાણીએ.
રામ મંદિરના નિર્માણમાં લોખંડનો વપરાશ કરવામાં આવ્યો નથી
અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પથ્થરોથી થઈ રહ્યું છે, મંદિરની બનાવટમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પથ્થર પિંક સ્ટોન છે, જે રાજસ્થાનના બંસી પહાડપુરથી લાવવામાં આવેલા પથ્થર છે. જ્યાં ભગવાન રામ બિરાજમાન થશે, તે ગર્ભ ગ્રહમાં લગભગ 4 લાખ 60 હજાર ઘનફૂટ પત્થરો લગાવવામાં આવ્યા છે. આ સિવાય લગભગ 21 લાખ ઘનફૂટ પત્થરોથી સમગ્ર મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મંદિરના નિર્માણમાં વપરાયા 21 લાખ ઘનફૂટ પત્થરો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, જો માત્ર મંદિરની જ વાત કરીએ, તો 4,75,000 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાનના મકરાણા માર્બલ, ગ્રેનાઈટ માર્બલ, પરકોટા માર્બલ અને પિંક સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો હિસાબ કરવામાં આવે, તો સમગ્ર મંદિરના નિર્માણમાં આશરે 21 લાખથી 22 લાખ ઘનફૂટ પથ્થરોનો વપરાશ થશે.