વર્લ્ડ કપ 2023ના ક્નોકઆઉટ મુકાબલા હવે બસ થોડા દિવસોમાં શરુ થવાના છે. ભારતે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે અને મોસ્ટલી સંભાવના એવી છે કે સામે ન્યૂઝીલેન્ડ ટકરાશે. ભારતે 8 લીગ મેચ રમી છે અને તમામ જીતી લીધી છે તેમનો આ વિજય રથ કોઈ ટીમ અટકાવી શકી નથી. હવે એક નેધરલેન્ડ સામેની મેચ પછી ભારત સેમિફાઈનલ રમવા ઉતરશે.
આ મહા મુકાબલા અગાઉ ઓસ્ટ્રેલિયાના લેજન્ડ પૂર્વ બેટર એડમ ગિલક્રિસ્ટે ભારતને હરાવવા ગુરુ મંત્ર આપ્યો છે. ન્યૂઝીલેન્ડ ભારતને હરાવવા આ નિતિ અનુસરી શકે છે.
ભારતના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા ગિલક્રિસ્ટે વિપક્ષી ટીમને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાની સલાહ આપી છે. તેમણે અહીં રન ચેઝમાં ભારતને કમજોર દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી, બલ્કે તેની ચિંતા ભારતીય ઝડપી બોલરોની છે. ગિલક્રિસ્ટ કહે છે કે શમી, સિરાજ અને બુમરાહની ત્રણેય સામે લાઇટમાં રમવું વધુ મુશ્કેલ છે.
ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા એડમ ગિલક્રિસ્ટે કહ્યું, ‘ભારતની અત્યાર સુધીની રમત જોયા બાદ મને લાગે છે કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી સારી રહેશે. હું એમ નથી કહેતો કે તેમની પાસે રન ચેઝમાં કોઈ નબળાઈ છે, તેમની પાસે વિરાટ કોહલી સૌથી મોટો રન ચેઝ માસ્ટર છે. પરંતુ ભારતીય બોલિંગ આક્રમણ લાઇટ હેઠળ વિરોધી ટીમને જે નુકસાન કરી રહ્યું છે તે ઘાતક છે. સિરાજ, શામી અને બુમરાહ સામે રાત્રે રમવું મુશ્કેલ બની જાય છે. દિવસમાં તેમની સામે બેટિંગ કરવી થોડી સરળ બની શકે છે.